Tuesday, November 10, 2015

ઘુંઘરૂના ઝણકારે વાત કરી નોખી,
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.
પાલવમાં ચીતરેલો મેવાડી મહેલ તોય
ગોકુળના વાયરાની આશ સદા રમતી,
ચાંદલો કરતાં હું દર્પણમાં જોઉં :
થાય મુજથી વધારે હું માધવને ગમતી.
રાતનું અજવાળું આવે બોલાવવાને મૂર્તિએ
આંખોથી આવ કહી પોંખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.
તંબૂરો છેડે છે એના એ સૂર
હવે વાંસળીના સૂરોમાં લીન થઇ જાવું છે
દરિયો બનીને જો માધવ લહેરાય તો
ઝળહળતા શ્વાસ કાજ મીન થઈ જાવું છે,
જન્મે જન્મે હું એને જાણીને ભુલું ને
જન્મે જન્મે એણે તોય મને ગોખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.
-મુકેશ જોષી

No comments:

Post a Comment