Thursday, December 3, 2015

ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે;
ત્યજી  વાંસવન નીરવ  વસીએ  મુરલીધરને હોઠે.
 
અંગુલિસ્પર્શ તણી  આરતમાં  ઝુરી રહ્યાં  છે છેદ,
સુગંધભીની  ફૂંક  શ્યામની  કરવી  નિજમાં  કેદ.
 
શ્વાસ કૃષ્ણનો અડે  તો પ્રગટે  દીવા બત્રીસ કોઠે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
 
આનાથી  તો  ભલો  વાંસના  વનમાં  લાગે  દવ,
ગોપી ઘેલી  થાય નહિ તો  બળ્યો  બંસીનો ભવ!
 
યમુનામાં  વહી  જાય રાખ  ને  સૂર ઉઠે પરપોટે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
-ભગવતીકુમાર શર્મા

No comments:

Post a Comment