Sunday, September 27, 2015

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા
સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા
નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા
સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો          
વીતેલી બે'ક પળમાંથી અમે નીકળી નથી શકતા
ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા
-મનોજ ખંડેરિયા



No comments:

Post a Comment