Thursday, August 4, 2022

પ્રકૃતિમાં પ્રભુ દર્શન

પ્રકૃતિમાં પ્રભુ દર્શન

લોકો ક્યે વરસે વરસાદ, હું તો કહું છું કે મોતીડે હરજી પોંખાય છે.
લોકો ક્યે ડાળડાળ ખીલ્યાં છે ફૂલ, હું તો કહું છું કે માધવ મલકાય છે.

રુક્મણી નાખે વિઠ્ઠલજીને વિંઝણો ને ધરતી પર આવે નીતરતો પવન,
આભના અરીસામાં નિરખતા મુખ હરિ તેથી તો લાગે છે નીલું ગગન.
લોકો ક્યે ખીલ્યાં પલાશ તો હું કહું છું કે વૈકુંઠમાં હોળી ખેલાય છે.
લોકો ક્યે વરસે વરસાદ...

રાસમહીં રાધાની ઓઢણીથી ખરતી સીતારીઓ તારા પ્રકાશતાં,
ભક્તોના વિરહના આંસુ એ સમદર ને એમાં નારાયણ બીરાજતા,
લોકો ક્યે કૂજે છે કોયલ, બપૈયા, હું તો કહું છું કે વાંસલડી વાય છે.
લોકો ક્યે વરસે વરસાદ...
                      જગદીપ ઉપાધ્યાય

No comments:

Post a Comment