Saturday, December 3, 2016

હું  પૂછું  કિરતાર તારે  ઘેર  કાં અંધેર છે?
સંતને શૂળી અને  દુરિજનને લીલા લ્હેર છે! 
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી  જતાં  ને  પથ્થરો  તરી જાય છે! 
ટળવળે  તરસ્યાં, ત્યાં  જે વાદળી  વેરણ બને,
તે જ રણમાં  ધૂમ મૂસળધાર  વરસી જાય છે! 
ઘર  વિના  ઘૂમે   હજારો   ઠોકરાતા   ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો  જનસૂનાં રહી જાય છે! 
દેવડીએ   દંડ   પામે   ચોર   મૂઠી    જારના,
લાખ  ખાંડી  લૂંટનારા   મહેફિલે  મંડાય   છે! 
કામધેનુને   મળે   ના   એક   સુકું   તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે! 
છે  ગરીબોના  કૂબામાં તેલ  ટીપું    દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર  ઘીના દીવા  થાય છે! 
- કરસનદાસ માણેક

No comments:

Post a Comment