Tuesday, June 24, 2014

ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,
શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.

ગિરિધર ગિરિધર ગોખી માર્યું,
કશું થતું ના ગોપીધાર્યું,
માખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે.
કવિજન ગોપ થઈને જીવે.

ગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે,
ગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે.

કૃષ્ણચરણમાં માથું મૂક્યું,
અહો શ્યામનું મુખ છે ઝૂક્યું,
અધર માનીને ગોપવનિતા ચૂમતી ધીમે ધીમે.

ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,
શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.

– ધીરુ પરીખ

No comments:

Post a Comment